ADVERTISEMENT

ADVERTISEMENT

પુણે હત્યાકાંડ બાદ પ્રિયંકા દેઓની અપીલ: સંતાનો સાથે ખુલ્લો સંવાદ જરૂરી

ભારતીય-અમેરિકન મીડિયા પ્રોફેશનલે ઇમિગ્રન્ટ માતા-પિતાને સંતાનોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા અપીલ કરી.

 પ્રિયંકા દેઓ પ્રિયંકા દેઓ / X/ Priyankka Deo

અમેરિકાના શિકાગોમાં રહેતી ભારતીય-અમેરિકન મીડિયા પ્રોફેશનલ પ્રિયંકા દેઓએ પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડના સંદર્ભમાં ઇમિગ્રન્ટ માતા-પિતાને સંતાનો સાથે ખુલ્લો અને નિર્ભય સંવાદ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે માતા-પિતાનો હેતુ માત્ર આજ્ઞાકારી સંતાનો ઉછેરવાનો નહીં, પરંતુ એવા સંતાનો ઉછેરવાનો હોવો જોઈએ, જે જરૂર પડે ત્યારે નિર્ભયતાથી "ના" કહી શકે.

એક્સ (X) પર શેર કરાયેલા એક વીડિયોમાં દેઓએ પુણેના ચર્ચિત કેસનો ઉલ્લેખ કર્યો. આરોપો અનુસાર, 20 વર્ષની આસપાસની સિયા ગોયલ અને તેના એક સાથીએ કેતન અગ્રવાલને પુણે નજીકના કિલ્લા પર બોલાવી ત્યાંથી ધક્કો મારી તેની હત્યા કરી હતી. જોકે, દેઓએ સ્પષ્ટ કર્યું કે આ મામલો હાલ કોર્ટમાં છે અને આરોપો હજુ સાબિત થયા નથી.

તેમણે જણાવ્યું કે આ કેસે ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીય સમુદાયનું પણ ધ્યાન ખેંચ્યું છે અને દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તે વીડિયાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સિયા ગોયલના માતા-પિતાએ કહ્યું હતું કે જો તેમની પુત્રી દોષિત સાબિત થાય તો તેને કાયદા મુજબ સજા મળવી જોઈએ. દેઓએ આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી.

દેઓએ પ્રશ્ન કર્યો કે જો આરોપો સાચા હોય, તો સગાઈ તોડી શકાય તેમ હતું, પરંતુ સંબંધનો અંત હત્યા સુધી કેમ પહોંચ્યો? તેમના મતે, આવી ઘટનાઓ પરિવારની અંદર ખુલ્લા અને વિશ્વાસપૂર્ણ સંવાદના અભાવ તરફ પણ સંકેત કરે છે.

તેમણે કહ્યું, "સંતાન હંમેશા 'હા' જ કહે તેવો ઉછેર આપવાનો હેતુ ન હોવો જોઈએ. હેતુ એવો હોવો જોઈએ કે સંતાનને સંબંધ, લગ્ન કે કોઈપણ અસ્વસ્થ પરિસ્થિતિમાં નિર્ભયતાથી 'ના' કહેવાની સુરક્ષા અને હિંમત મળે."

દેઓએ કહ્યું કે ઇમિગ્રન્ટ માતા-પિતાએ પોતાની સાંસ્કૃતિક મૂલ્યો જાળવી રાખવાની સાથે એવું વાતાવરણ પણ ઊભું કરવું જોઈએ, જ્યાં સંતાનો કોઈપણ મુશ્કેલ કે અસહજ વિષય પર પણ નિર્ભયતાથી પોતાના વિચારો વ્યક્ત કરી શકે. આવા સંવાદો ક્યારેક અસ્વસ્થ કરી શકે છે, પરંતુ તેમને ટાળવાના પરિણામો ગંભીર બની શકે છે.

તેમણે અંતમાં પ્રશ્ન પૂછ્યો કે શું માતા-પિતા અને સંતાનો વચ્ચે વધુ સારો સંવાદ આવી દુઃખદ ઘટનાઓને અટકાવવામાં મદદરૂપ બની શકે?



પ્રિયંકા દેઓ છેલ્લા કેટલાક સમયથી ઇમિગ્રન્ટ પરિવારો સામેના પડકારો અંગે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે ડિજિટલ પ્લેટફોર્મ PGurus સાથે મળીને અમેરિકામાં જીવન અને કારકિર્દી માટે બાળકોને કેવી રીતે તૈયાર કરવા તે વિષય પર વર્કશોપ યોજી હતી.

તે વર્કશોપ દરમિયાન દેઓએ જણાવ્યું હતું કે ઘણા ઇમિગ્રન્ટ માતા-પિતા પોતાના બાળકોને આજના અમેરિકાને બદલે તેઓ જ્યારે અમેરિકા આવ્યા હતા તે સમયના અનુભવ મુજબ તૈયાર કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સાંસ્કૃતિક મૂલ્યો જાળવવા જેટલું જ જરૂરી નેતૃત્વ, સંવાદ કૌશલ્ય, બદલાતી પરિસ્થિતિઓને સ્વીકારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવાનું પણ છે.

તેમણે ઉમેર્યું કે પ્રથમ પેઢીના ઘણા ઇમિગ્રન્ટો સ્થિર જીવનની શોધમાં અમેરિકા ગયા હતા અને જે તક મળી તેને સ્વીકારી હતી, જ્યારે આજની નવી પેઢી સામે અલગ પ્રકારની અપેક્ષાઓ અને પડકારો છે. તેથી તેમને સફળ થવા માટે અલગ પ્રકારની કુશળતાઓની જરૂર છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?