ADVERTISEMENT

ADVERTISEMENT

VP વાન્સને પત્ની ખ્રિસ્તી ધર્મ અપનાવે તેવી આશા રાખવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો.

વાઇસ પ્રેસિડન્ટના નિવેદનો, જે ટર્નિંગ પોઇન્ટ યુએસએ કાર્યક્રમમાં ભારતીય મૂળની મહિલાના પ્રશ્નના જવાબમાં કરવામાં આવ્યા હતા, તેનાથી વિશ્વાસ, કુટુંબ અને આંતરધાર્મિક સહિષ્ણુતા પરની ચર્ચા ફરી ઉગ્ર બની છે.

ભારતીય મૂળની એક મહિલાએ કાર્યક્રમ સરમ્યાન વાન્સને સવાલ કર્યો હતો / Screengrab from the event

યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે તેમની પત્ની ઉષા વાન્સ એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવે તેવી આશા રાખવા બદલ આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

વાન્સે આ ટિપ્પણી મિસિસિપી યુનિવર્સિટીમાં ટર્નિંગ પોઇન્ટ યુએસએના કાયર્ક્રમમાં જનમેદનીને સંબોધતાં કરી હતી, જ્યાં તેમણે તેમના આંતરધાર્મિક લગ્ન અને બાળકોના ઉછેર વિશે વાત કરી.

પત્નીના ધર્મ વિશેના પ્રશ્નના જવાબમાં વાન્સે કહ્યું, “મારી પત્ની ખ્રિસ્તી તરીકે ઉછરી નથી. એમ કહેવું યોગ્ય છે કે તે હિન્દુ પરિવારમાં ઉછરી હતી, પરંતુ કોઈપણ દિશામાં ખાસ ધાર્મિક પરિવાર નહોતો.”

વાન્સે જણાવ્યું કે દંપતીએ બાળકોને ખ્રિસ્તી તરીકે ઉછેરવા અને ખ્રિસ્તી શાળામાં મોકલવાનો નિર્ણય લીધો છે. “અમારા બે મોટા બાળકો જે શાળાએ જાય છે, તે ખ્રિસ્તી શાળા છે. અમારા આઠ વર્ષના બાળકે લગભગ એક વર્ષ પહેલાં પ્રથમ કમ્યુનિયન કર્યું હતું,” તેમણે કહ્યું.

તેમણે ઉમેર્યું કે ઉષા અવારનવાર તેમની સાથે રવિવારની પ્રાર્થનામાં જોડાય છે. “હવે મોટા ભાગના રવિવારે ઉષા મારી સાથે ચર્ચમાં આવે છે. જેમ કે મેં તેને કહ્યું છે, અને જાહેરમાં કહ્યું છે, અને હવે મારા ૧૦,૦૦૦ સૌથી નજીકના મિત્રો સમક્ષ કહીશ—શું હું આશા રાખું છું કે આખરે તે પણ ચર્ચમાં મને જે અનુભવ થયો તે જ અનુભવે? હા, હું ખરેખર એવું ઇચ્છું છું. કારણ કે હું ખ્રિસ્તી ગોસ્પેલમાં માનું છું, અને હું આશા રાખું છું કે આખરે મારી પત્ની તેને મારી જેમ જ જુએ,” તેમણે કહ્યું.

જોકે, વાન્સે વધુ સ્પષ્ટતા કરી કે પત્નીની ધાર્મિક પસંદગી તેમના લગ્નમાં વિવાદનું કારણ નહીં બને. “જો તે ન કરે, તો ભગવાન કહે છે કે દરેકને મુક્ત ઇચ્છા છે, અને તેથી તે મારા માટે સમસ્યા નથી. તે એવી વાત છે જે તમે તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની સાથે ઉકેલો છો. સૌથી મહત્વના ખ્રિસ્તી સિદ્ધાંતોમાંનો એક એ છે કે તમે મુક્ત ઇચ્છાનો આદર કરો.”

તેમની ટિપ્પણીઓએ ઓનલાઇન આકરી ટીકા ખેંચી, અનેક વપરાશકર્તાઓએ ઉપરાષ્ટ્રપતિ પર પત્નીના હિન્દુ ધર્મ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ મૂક્યો.

“તે એક નિષ્ઠાવાન હિન્દુ છે... હવે તે પોતાની પત્નીને ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અબ્રાહમિક ધર્મોની સમસ્યા છે,” એક વપરાશકર્તાએ એક્સ પર લખ્યું.

અન્યોએ આ નિવેદનને “દંભી” ગણાવ્યું, અને નોંધ્યું કે વાન્સે અગાઉ ઉષાના હિન્દુ ઉછેરને પોતાની આધ્યાત્મિક યાત્રા પર પ્રભાવ પાડવા માટે શ્રેય આપ્યો હતો.

જોકે, કેટલાકે વાન્સની ટિપ્પણીઓનો બચાવ કર્યો, અને કહ્યું કે તે માત્ર પોતાના વિશ્વાસની અભિવ્યક્તિ કરી રહ્યા હતા. “ઉષા માટે પ્રાર્થના. સમાન યોગ્ય લગ્ન એ આશીર્વાદ છે,” એક વપરાશકર્તાએ લખ્યું.

આ વર્ષની શરૂઆતમાં ઉષા વાન્સે મેઘન મેકકેઇનના પોડકાસ્ટ સિટિઝન મેકકેઇન પરની મુલાકાતમાં દંપતીના આંતરધાર્મિક પરિવાર વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે તેમના બાળકો કેથોલિક શાળામાં જાય છે પરંતુ તેઓ બાપ્તિસ્મા લેવું કે નહીં તે પસંદ કરી શકે છે.

ઉષાએ યાદ કર્યું કે જ્યારે તે યેલ લો સ્કૂલમાં જે.ડી.ને મળી ત્યારે તે કેથોલિક નહોતા અને તેમનું ધર્માંતરણ પછીથી થયું હતું. તેમણે નોંધ્યું કે કેથોલિક ધર્મમાં ધર્માંતરણ કરવું એ બાળકોને ધર્મમાં ઉછેરવા જેવી જવાબદારીઓ લાવે છે—જે વિશે દંપતીએ લાંબી ચર્ચા કરી હતી. સહાયક હોવા છતાં, તેમણે કહ્યું કે તેમનો પોતે ધર્માંતરણ કરવાનો કોઈ ઇરાદો નથી.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in