ADVERTISEMENT

ADVERTISEMENT

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માંડવી ખાતે સ્ટડી સેન્ટર ખુલ્લું મુકાયું.

સ્ટડી સેન્ટરના નિર્માણથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે વાંચનની સુવિધા મળશે: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી

સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ / માહિતી વિભાગ, ગુજરાત

માંડવી સ્થિત ધી માંડવી એજયુકેશન સોયાયટી ટેકનિકલ કેમ્પસ ખાતે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ રૂ.૪૪.૯૫ લાખના ખર્ચે નવનિર્મિત સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલનું સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સ્ટડી સેન્ટર પુસ્તકાલય, વાઈફાઈ, એસી, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે, તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી લેટેસ્ટ પુસ્તકોનો ખજાનો છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઈન કોર્સ પણ અહીંથી કરી શકશે.

આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનઘડતરનું માધ્યમ છે. વિદ્યાર્થીઓએ ઉત્તમ કારકિર્દી માટે શિક્ષણને અગ્રીમતા આપવી જોઈએ. રાજ્ય સરકારની શિક્ષણને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના બાળકોની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે.

- / માહિતી વિભાગ, ગુજરાત.

શાળામાં નિર્મિત સ્ટડી સેન્ટર માટે સંસ્થાને અભિનંદન આપતા મંત્રીશ્રીએ બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે વાંચનની સુવિધા મળશે. શાળા તેમજ ઘરઆંગણે આ સ્ટડી સેન્ટરનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ, શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકશે. 

- / માહિતી વિભાગ, ગુજરાત.

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ કહ્યું કે, શિક્ષિત વર્ગ સાચી અને હિતલક્ષી બાબતોને સમાજના દરેક સ્તર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજ્યનું યુવાધન દરેક ક્ષેત્રે અગ્રેસર થઈ રહ્યું છે. માંડવીનું અત્યાધુનિક સ્ટડી સેન્ટર યુવા પેઢીને ઉપયોગી બનશે. માંડવી વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ, યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને તમામ વર્ગના યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય પ્લેફોર્મ સ્ટડી સેન્ટર થકી મળી રહેશે એમ જણાવી શ્રી વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબ અને આદિવાસી બંધુઓને કેન્દ્રમાં રાખીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, જેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે તા.વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી, જિ.પંચાયતના સભ્ય રોહિત પટેલ, સમાજિક અગ્રણી સર્વશ્રી ડો.આશિષ ઉપાધ્યાય, ડો.વાસુદેવ જોખા, પ્રવિણભાઈ સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Comments

Related