વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સપાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જીન ડી-૯ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, ૩ વર્ષ અગાઉ આ ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે આજે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે. આ સિદ્ધિને ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
આ પરિપ્રેક્ષ્યમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આજે ભારતમાંથી સ્માર્ટફોનથી લઈને કાર, રમકડાં, સેના માટેના શસ્ત્રો, દવાઓ જેવી અનેક વસ્તુઓની નિકાસ થઇ રહી છે. એટલું જ નહીં, આજે ભારત રેલવે, મેટ્રો અને એ માટેની ટેક્નોલોજી પણ પોતે જ બનાવે છે અને દુનિયામાં નિકાસ કરે છે. દાહોદ એનું જીવંત ઉદાહરણ છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ૧૪૦ કરોડ ભારતીયોએ સાથે મળી વિકાસશીલ ભારત માટે કમર કસી છે. આપણા માટે હવે એ મહત્વનું છે કે દેશ માટે જે કંઈ જરૂર પડે એ આપણે ભારતમાં જ બનાવીએ. આજે દેશ ઝડપથી મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યો છે. દેશની જરૂરિયાતની ચીજોનું નિર્માણની સાથે આપણે દુનિયાના દેશોમાં નિકાસ પણ કરી રહયાં છીએ.
દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલું ૯,૦૦૦ હોર્સપાવર ધરાવતું આ એન્જિન એ માત્ર દાહોદનું નહિ, પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીનો પરિચય આપે છે. આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન તૈયાર થતું હશે, એ દિવસો હવે દૂર નથી. આ ફેક્ટરીથી સ્થાનિક યુવાઓને રોજગાર મળશે, નાના ઉદ્યોગો ઉભા થશે, સ્પેર પાર્ટ્સના કારખાનાં શરૂ થશે, ખેડૂત હોય, પશુપાલક હોય કે દુકાનદાર, દરેક વર્ગને આનો લાભ મળશે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતના સો ટકા રેલ નેટવર્કના વિદ્યુતીકરણની ઐતિહાસિક સિધ્ધિ બદલ અભિનંદન આપતાં ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા દાયકામાં ભારતે રેલવે ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે, જેમાં વંદે ભારત ટ્રેનો, મેટ્રો સેવાઓનો વિસ્તાર અને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારત આજે રેલવે ટેકનોલોજી અને સાધનોનું નિર્માણ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, ફ્રાન્સ, મેક્સિકો, સ્પેન અને જર્મની જેવા દેશોમાં નિકાસ કરી રહ્યું છે. આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમીકન્ડક્ટર, ટુરિઝમ જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે. લાખો યુવાઓને રોજગારની તક મળતી થઈ છે. દાહોદ જિલ્લાનો પણ ઘણો વિકાસ થયો છે. તેમ જણાવતાં તેમણે દાહોદ જિલ્લાને આદિવાસી પ્રદેશોના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતુ, તેમણે ઉમેર્યું કે, એક સમયે પછાત ગણાતો આ જિલ્લો આજે સ્માર્ટ સિટીના સપના સાકાર કરી રહ્યો છે. આજે દાહોદની સ્માર્ટ સિટી, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને હવે રેલવે ઉત્પાદનનું હબ તરિકે નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. રેલવે ફેક્ટરીઓ, નાના-મોટા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી રોજગારની નવી તકો ઊભી થઈ છે. ખાસ કરીને આદિવાસી યુવાનોને આ ફેક્ટરીઓ અને લઘુ ઉદ્યોગો દ્વારા નોકરીઓ અને આજીવિકાની તકો મળી રહી છે. આ પ્રદેશની આર્થિક પ્રગતિને વેગ આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
આદિવાસી સમાજના ઉત્થાન પર ભાર મૂકતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલો, આઈટીઆઈ, મેડિકલ કોલેજો અને ટ્રાઇબલ યુનિવર્સિટીઓની સ્થાપનાથી આદિવાસી યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી તકો મળી છે. પીએમ જનમન યોજના દ્વારા આદિવાસી સમાજના સૌથી પછાત વર્ગો માટે ઘર, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે.
વડાપ્રધાનશ્રીએ સિકલ સેલ એનિમિયા જેવા રોગો સામે લડવા માટે ચાલી રહેલા મિશન મોડના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આ યોજના હેઠળ લાખો આદિવાસી ભાઈ-બહેનોનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવી રહી છે. દેશના ૧૦૦ પછાત જિલ્લાઓ પૈકી દાહોદ જેવા આદિવાસી જિલ્લાના વિકાસ માટે સરકારે વ્યાપક આયોજન કર્યું છે. દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ ૬૦ હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
વડાપ્રધાનશ્રીએ દેશની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકી ભારતના સંસ્કારો અને ભાવનાઓની અભિવ્યક્તિ રૂપ 'ઓપરેશન સિંદુંર'નો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી, જે ૧૪૦ કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદનો જવાબ ચૂપ રહીને નહીં, પરંતુ કડક પગલાં લઈને આપે છે. આ ઓપરેશન એ દેશની સેનાઓના શૌર્ય અને નિર્ણાયકતાનું પ્રમાણ છે.
શ્રી મોદીએ કહ્યું કે, મારા માટે તો આદિવાસી સમાજ એ મારી સેવા યાત્રાનો મજબૂત આધાર રહ્યું છે. દાહોદથી લઇને સમગ્ર પૂર્વ ગુજરાતમાં મેં સેવાકાર્ય કર્યું છે. આજે દાહોદ સમૃદ્ધ બન્યું છે એ જોઈને મને ગર્વ થાય છે. દાહોદની આ ધરતી, ત્યાગ અને બલિદાનની ધરતી છે. મહર્ષિ દધીચિએ આ ધરતી પર દેહાહુતિ આપી સૃષ્ટિની રક્ષા માટે તપ કર્યું હતું. તાત્યા ટોપે હોય કે માનગઢ ધામના શહિદો, આ ધરતીને ભારત માતાના સંતાનોના બલિદાને પવિત્ર બનાવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાનશ્રી અને સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂરથી આંતકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે. હવે આંતકનો જવાબ ત્વરિત સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો નિર્દેશ તેમણે આપ્યો છે. તેઓ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના આદિવાસી વિસ્તારોમાં રોડ, રેલ્વે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની જેવી સુવિધાઓમાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ખર્ચમાં પણ છ ગણો વધારો થયો છે. પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login