ADVERTISEMENT

ADVERTISEMENT

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આયોજિત યોગ શિબિરમાં ૧૫ હજારથી વધુ શહેરીજનો  સહભાગી થયા

ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીએ યોગાભ્યાસ કરાવી યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા આહ્વાન કર્યું / X@sanghaviharsh

'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - ૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત નિ:શુલ્ક 'યોગ શિબિર - કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 

વહેલી સવારે ખુશનુમા માહોલમાં ૧૫ હજારથી વધુ શહેરીજનો આ યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા. 

આ યોગ શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સર્વે મહાનુભાવોએ પણ યોગાભ્યાસ કર્યો હતો. 

આ પ્રસંગે યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ વિભાગના રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લાઓ એક નવો ઇતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. યોગ અને પ્રાણાયામ એ માત્ર શારીરિક-માનસિક કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્મા સાથે સંવાદ સ્થાપિત કરવાની પદ્ધતિ છે. 

આ અવસરે મંત્રીશ્રીએ ગુજરાતના તમામ જિલ્લાના નાગરિકોને યોગથી પ્રેરણા લઈને 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિત મુક્ત ગુજરાત' અભિયાનમાં જોડાવવા અપીલ પણ કરી હતી. 
            
આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગસેવક શ્રી શિશપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીએ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત થવા તેમજ નિયમિત યોગાભ્યાસ કરવાની હિમાયત કરી હાયપર ટેન્શન, મેદસ્વિતા નિવારણ તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી ઊર્જામય જીવન તરફ અગ્રેસર બનવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. 

યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરતા શ્રી શિશપાલજી તથા રાજ્ય યોગ બોર્ડના સભ્યોએ યોગ અને પ્રાણાયામની કોમન પ્રોટોકોલ તાલીમ આપી નિયમિત વ્યાયામ, તણાવમુક્તિ માટે ધ્યાન, કામના ભારણ સાથે યોગ જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'મન કી બાત'માં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને સંદેશ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પણ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાન શરૂ કર્યું છે. જેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ શિબિર એક સશક્ત પગલું સાબિત થશે.

યોગ દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક આરોગ્ય તરફ સમાજને પ્રેરિત કરવા તેમજ યોગને જીવનશૈલી બનાવીને વ્યક્તિ-સમાજને તંદુરસ્ત તથા સુખમય બનાવવાના ઉદ્દેશથી આ સમગ્ર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોગ શિબિરમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્યશ્રીઓ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ.થેન્નારસન,  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ યોગસેવકો, યોગપ્રેમીઓ, શિક્ષકો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in