કીર્તિ સેતુ ફાઉન્ડેશન દ્વારા ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’ની વિશેષ સ્ક્રીનિંગ માં અભિનેત્રી સંસ્કૃતિ જાયના સહિત ફિલ્મના નિર્માતાઓ ઉપસ્થિત / Chirag Sali
સુરત શહેરમાં કીર્તિ સેતુ ફાઉન્ડેશન દ્વારા ફિલ્મ 'કૃષ્ણાવતારમ'ની વિશેષ સ્ક્રીનિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 23 મે, 2026ના રોજ વી.આર. મોલ સ્થિત INOX સિનેમાઘરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મ જગત તેમજ સમાજના અનેક ગણમાન્ય મહાનુભાવો અને પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, ગૌરવ અને સાંસ્કૃતિક ભાવનાઓનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ફિલ્મની મુખ્ય અભિનેત્રી સંસ્કૃતિ જાયનાની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાતની દીકરી તરીકે ઓળખાતી સંસ્કૃતિ જાયના ફિલ્મમાં સત્યભામાના મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. તેઓ શ્રીમતી આનંદીબેન પટેલની દોહિત્રી તેમજ શ્રીમતી અનાર પટેલની સુપુત્રી તરીકે પણ જાણીતા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયા પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત દર્શકો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો. તેમની સાદગી અને પ્રેક્ષકો સાથેનો સંવાદ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
કાર્યક્રમમાં ફિલ્મના નિર્માતા શોભા સંત અને સજીવ કુરુપ પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. બંને નિર્માતાઓએ ફિલ્મની રચનાની યાત્રા, તેની પૃષ્ઠભૂમિ તેમજ ફિલ્મમાં રહેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંદેશ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'કૃષ્ણાવતારમ' માત્ર એક ફિલ્મ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.
વિશેષ સ્ક્રીનિંગ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નિર્માતાઓ સાથે સીધી ચર્ચા કરવાની તક પણ મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ફિલ્મના વિષય અને કલાકારોના અભિનયની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી યાઝદી કરંજિયા, સંત શ્રી અભયદાસજી સહિતના મહાનુભાવોએ અભિનેત્રી સંસ્કૃતિ જાયનાના અભિનય તેમજ ફિલ્મની રજૂઆતને વખાણી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને બનતી ફિલ્મો સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કીર્તિ સેતુ ફાઉન્ડેશનના સચિન જૈન, ભરતભાઈ સેવલિયા અને સાક્ષી પોખરણાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, મીડિયા પ્રતિનિધિઓ અને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા ભવિષ્યમાં પણ સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે.
કાર્યક્રમ માત્ર ફિલ્મના પ્રદર્શન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ તે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ પણ બની રહ્યો હતો.
ગુજરાતીમાં વધુ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login