ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય મૂળના અમેરિકી સાંસદોએ ટ્રાન્સજેન્ડર વિરોધી નિવેદનો પર કાર્યવાહીની માંગ કરી

ડેમોક્રેટિક પક્ષના 213 સાંસદોએ આ અપીલ પર સહી કરી, જેમાં ડેમોક્રેટિક કોકસમાં વ્યાપક સમર્થન દેખાય છે

(Top L-R) પ્રમિલા જયપાલ, સુહાસ સુબ્રમણ્યન, રો ખન્ના (Bottom L-R) અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર / File Photo

ભારતીય મૂળના અમેરિકી સાંસદોએ પોતાના સાથીઓ સાથે મળીને હાઉસ સ્પીકર માઇક જ્હોન્સનને કોંગ્રેસમાં વધી રહેલા ટ્રાન્સજેન્ડર વિરોધી નિવેદનોની નિંદા કરવા અને સદનના શિષ્ટાચારના નિયમો કડકાઈથી અમલમાં મૂકવા અપીલ કરી છે.

રિપ્રેઝન્ટેટિવ એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, પ્રમિલા જયપાલ, રો ખન્ના, શ્રી થનેદાર તથા સુહાસ સુબ્રમણ્યમ સહિતના સાંસદોએ ઇક્વાલિટી કોકસના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલા પત્ર પર સહી કરી છે. આ પત્રમાં કુલ 213 સાંસદોએ સહી કરી છે અને તે તાજેતરના સરકારી શટડાઉન પછી હાઉસની બેઠક ફરી શરૂ થતાંની સાથે જ જાહેર કરવામાં આવ્યો હતો.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના એક સભ્યે સત્તાવાર કાર્યવાહી દરમિયાન – સમિતિની બેઠકો તેમજ હાઉસ ફ્લોર પરના નિવેદનોમાં – ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા તમામ પ્રસંગોએ ચેર કે સ્પીકર પ્રો ટેમ્પોરે કોઈ કાર્યવાહી કરી નહોતી, જ્યારે હાઉસના નિયમોમાં અશિષ્ટ, અપમાનજનક કે નીચા દરજ્જાના શબ્દોનો પ્રયોગ પ્રતિબંધિત છે.

પત્રમાં એવા નિવેદનોનો પણ ઉલ્લેખ છે જેમાં કેટલાક સાંસદોએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને માનસિક રોગી ગણાવ્યા, તેમના સંસ્થાકીયકરણની વાત કરી કે તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યા. આવા નિવેદનો ટ્રાન્સજેન્ડર અમેરિકનોને નિશાન બનાવતા કાયદાકીય તેમજ વહીવટી પગલાંને વધુ તીવ્ર બનાવે છે, એમ પત્રમાં જણાવાયું છે.

સાંસદોએ લખ્યું છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ “દરેક સમુદાયનો ભાગ છે” અને તેમની દાનવીકરણ કરવાથી વાસ્તવમાં આખા સમાજ પર હુમલો થાય છે.

તેમણે 2024ના કેન્દ્રીય આંકડા ટાંક્યા છે જેમાં જાતીય ઓળખને કારણે પ્રેરિત 463 હેટ ક્રાઇમની ઘટનાઓ નોંધાઈ છે – જે વાસ્તવિક સંખ્યા કરતાં ઘણી ઓછી હોવાનું મનાય છે – અને સંશોધનો દર્શાવે છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સામાન્ય વસ્તીની સરખામણીએ હિંસાનો ઘણો વધુ ભોગ બનવાનું જોખમ રહેલું છે.

અંતમાં સાંસદોએ સ્પીકર જ્હોન્સનને અપીલ કરી છે કે, “હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝના સ્પીકર તરીકે તમારી જવાબદારી માત્ર રિપબ્લિકન કોન્ફરન્સ પ્રત્યે જ નહીં પરંતુ આખા સદન તથા તે જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે એ આખા દેશ પ્રત્યે છે.” તેથી સદનના ધોરણોનું પાલન કરાવવું જોઈએ.

Comments

Related