ADVERTISEMENT

ADVERTISEMENT

ડૉ. એસ. નરસિંહા રાવના સન્માનમાં UCOએ 'ઇન્ડિયા સ્કોલર પ્રોગ્રામ' શરૂ કર્યો

એન્ડાઉડ કાર્યક્રમ હેઠળ ભારતના વિદ્વાનો અને કલાકારોને UCOમાં આમંત્રિત કરી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત બનાવાશે.

 ભારતમાં ડૉ. એસ. નરસિંહ રાવ ભારતમાં ડૉ. એસ. નરસિંહ રાવ / Madras Christian College

અમેરિકાની યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ઓક્લાહોમા (UCO)એ ભારતીય મૂળના શિક્ષણવિદ અને સંશોધક ડૉ. એસ. નરસિંહા રાવના સન્માનમાં 'ડૉ. એસ. નરસિંહા રાવ એન્ડાઉડ ઇન્ડિયા સ્કોલર પ્રોગ્રામ'ની સ્થાપના કરી છે. આ પહેલ ભારત અને અમેરિકા વચ્ચેના શૈક્ષણિક સહયોગ માટે નવી તકો ઊભી કરશે.

UCO ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલા આ એન્ડાઉડ કાર્યક્રમ હેઠળ ભારતના પ્રતિષ્ઠિત વિદ્વાનો, પ્રોફેસરો અને કલાકારોને UCOમાં આમંત્રિત કરવામાં આવશે. તેઓ વ્યાખ્યાનો, સાંસ્કૃતિક રજૂઆતો, ઇન્ટર્નશિપ અને સંયુક્ત સંશોધન દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે જોડાશે, જેના કારણે બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે.

આ કાર્યક્રમ ડૉ. રાવના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અને UCO માટેના દાયકાઓ લાંબા યોગદાનને માન્યતા આપે છે. તેઓ UCOના જૅક્સન કોલેજ ઑફ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના એમેરિટસ ડીન તેમજ ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગના એમેરિટસ પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે યુનિવર્સિટીમાં સંશોધન અને શૈક્ષણિક કાર્યક્રમોના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અગાઉ ઓક્લાહોમા સ્ટેટ રીજન્ટ્સ ફોર હાયર એજ્યુકેશન દ્વારા પણ ડૉ. રાવને વિશેષ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને કાઉન્સિલ ઑન રિસર્ચ ફોર રિજનલ યુનિવર્સિટીઝ એન્ડ કેમ્પસ રિપ્રેઝેન્ટેટિવ્સની સ્થાપના અને ઓક્લાહોમા રિસર્ચ ડેના આયોજન માટે માન્યતા આપવામાં આવી હતી. આ પ્રશસ્તિપત્રમાં સમગ્ર ઓક્લાહોમામાં અંડરગ્રેજ્યુએટ સંશોધનને પ્રોત્સાહન આપવા અને રાજ્યવ્યાપી સંશોધન સહયોગ વિકસાવવામાં તેમના નેતૃત્વની પ્રશંસા કરવામાં આવી હતી.

તે સમયે ચાન્સેલર પૉલ જી. રિસરએ જણાવ્યું હતું કે, "અમારું રાજ્ય હવે સંશોધનની નવી તકોના યુગમાં પ્રવેશવા તૈયાર છે. ડૉ. રાવ જેવા સંશોધકોના સમર્પણ અને શ્રેષ્ઠતાપ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે આ શક્ય બન્યું છે."

પ્રશસ્તિપત્રમાં USCARE મારફતે અંડરગ્રેજ્યુએટ શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો તેમજ ઓક્લાહોમા રિસર્ચ ડેના આયોજન દ્વારા રાજ્યની વિવિધ સંસ્થાઓ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક તથા સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવામાં તેમના યોગદાનની પણ નોંધ લેવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે ડૉ. રાવના વ્યક્તિગત અને વ્યાવસાયિક નેતૃત્વે ઓક્લાહોમાના વિકાસ માટે જરૂરી શૈક્ષણિક પાયો મજબૂત બનાવ્યો છે.

ભારતમાં જન્મેલા ડૉ. રાવે યુનિવર્સિટી ઑફ મદ્રાસ હેઠળની મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાંથી બીજી માસ્ટર ડિગ્રી મેળવી અને રોઝવેલ પાર્ક સેન્ટર ફોર ક્રિસ્ટેલોગ્રાફિક રિસર્ચ તથા સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્ક એટ બફેલો સાથે સંકળાયેલા કાર્યક્રમ મારફતે બાયોફિઝિક્સમાં પીએચ.ડી. પૂર્ણ કરી હતી. અભ્યાસ દરમિયાન તેમણે જાણીતા ક્રિસ્ટેલોગ્રાફરો અને નોબેલ પુરસ્કાર વિજેતાઓ સાથે પણ કામ કર્યું હતું.

UCOમાં કાર્યકાળ દરમિયાન ડૉ. રાવે સંસ્કૃત, હિંદુ તત્ત્વજ્ઞાન અને હિંદુ હ્યુમેનિટીઝ જેવા અભ્યાસક્રમોની શરૂઆત કરી હતી. ઉપરાંત તેમણે 1999માં ઓક્લાહોમા રિસર્ચ ડેની સ્થાપના કરી હતી, જે લગભગ એક દાયકાથી રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓને એક જ મંચ પર લાવતો વાર્ષિક સંશોધન કાર્યક્રમ બન્યો.

યુનિવર્સિટી બહાર પણ ડૉ. રાવે ઈસ્ટ વેસ્ટ આર્ટ ફોરમ અને ઈન્ડિયા એસોસિએશન ઑફ ઓક્લાહોમાના સ્થાપક પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ અમેરિકન ક્રિસ્ટેલોગ્રાફિક એસોસિએશન અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિક્સ સહિત અનેક શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને કલા સંસ્થાઓમાં નેતૃત્વ તથા સલાહકાર તરીકે પણ જોડાયેલા રહ્યા હતા.

2008માં UCOમાંથી નિવૃત્ત થયા બાદ પણ ડૉ. રાવે ભારત અને અમેરિકા વચ્ચે શૈક્ષણિક ભાગીદારીને આગળ વધારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમણે SRM યુનિવર્સિટી, સેન્ટ જોસેફ્સ કોલેજ, સેશાદ્રિપુરમ અકેડમી ફોર ગ્લોબલ એક્સલન્સ, જૈન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ઓક્લાહોમા સહિત અનેક સંસ્થાઓ સાથે મળીને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો અને સંયુક્ત સંશોધન સહયોગને પ્રોત્સાહન આપ્યું.

પછીથી ડૉ. રાવ અમેરિકન ક્રિસ્ટેલોગ્રાફિક એસોસિએશનના ફેલો તરીકે પણ ચૂંટાયા હતા. તેમણે સંસ્થાના 'લિવિંગ હિસ્ટ્રી' દસ્તાવેજનું લેખન કર્યું હતું તેમજ UCOની 125મી વર્ષગાંઠ નિમિત્તે તેની ગ્રેજ્યુએટ કોલેજના 25 વર્ષના ઇતિહાસનું પણ લેખન કર્યું હતું. તેમણે એસોસિએશનમાં 35 વર્ષ સુધી ટ્રેઝરર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે સેવા આપ્યા બાદ 31 ડિસેમ્બર, 2020ના રોજ નિવૃત્તિ લીધી હતી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?