ADVERTISEMENT

ADVERTISEMENT

SRK ગ્રૂપ દ્વારા યોજાયો 12મો સમૂહ લગ્નોત્સવ; 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે મોટા વરાછામાં ભવ્ય સમારોહ યોજાયો. મંત્રીઓ-સાંસદો સહિત ઉદ્યોગ જગતની હસ્તિઓ સાક્ષી બન્યા.

SRK ના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા / Image Provided

સુરત શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરાવવામાં આવ્યા. ‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ હતો. જેના સાક્ષી 15000 થી પણ વધુ લોકો બન્યા છે. 2015થી શરૂ કરાયેલ પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. 

આ સમૂહ લગ્નોત્સવ પાછળની ભાવનાનું પ્રેરણાસ્રોત SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું વિચાર છે. તેઓનો વિશ્વાસ છે કે, “તમારી સંપતિનો સદુપયોગ કરવો હોય તો સાચી જરૂરિયાતવાળા લોકો તમારી આજુબાજુ તમારી સામે જ છે અને તેમના માટે કંઈક સારા કામ કરીએ એ જ સાચી સેવા છે.” ‘પ્યોર વિવાહ’ની આખી સંકલ્પના આ વિચાર પર આધારિત છે. તેઓ દરેક દીકરીને SRK પરિવારની દીકરી સમાન માને છે અને તેમને માન, આનંદ અને આત્મીયતા સાથે વિદાય આપવાની ભાવનાથી આ સમારોહ આયોજિત કરવામાં આવે છે. 

‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026' માં ઉપસ્થિત મહાનુભાવો / Image Provided

કાર્યક્રમ દરમિયાન જાન આગમન, હસ્તમેળાપ, આશીર્વચન સમારોહ, ભોજન સમારોહ અને કન્યાવિદાય જેવા તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થયા હતા. SRK પરિવાર તરફથી દીકરીઓને 3 લાખથી પણ વઘુની ઘરવખરી કરિયાવરમાં આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. 

સમારોહના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ અને ભારતના લો અને જસ્ટિસ મિનિસ્ટર શ્રી અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાનોમાં સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી દક્ષેશ માવાણી, સુરતના કલેક્ટર શ્રી સૌરભ પારધી, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ઇન્ડિયન નેવીના કેપ્ટન શ્યામકુમાર સહિત રાજ્ય અને દેશભરના સાંસદો, ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. 

‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ, જેના સાક્ષી 15000 થી પણ વધુ લોકો બન્યા / Image Provided

આ કાર્યક્રમમાં SRK ગ્રૂપના ગોવિંદભાઈ ધોળકિયા, દિનેશભાઈ નારોલા, અરજણભાઈ ધોળકિયા, જયંતિભાઈ નારોલા અને રાહુલભાઈ ધોળકિયા દ્વારા મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું કે ‘પ્યોર વિવાહ’ આજે માત્ર સમૂહ લગ્નોત્સવ નહીં પરંતુ સમાજમાં દીકરીઓના માન અને ગૌરવ માટેનું એક માનવંતા અભિયાન બની ગયું છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related