ADVERTISEMENT

ADVERTISEMENT

અમિતાભ કાંત ઉપગ્રેડના બોર્ડમાં સ્વતંત્ર નિયામક તરીકે જોડાયા

ભારતના સુધારાકારી યુગમાં ચાર દાયકાથી વધુ સમયથી કેન્દ્રસ્થાને રહેલા અમિતાભ કાંત હવે ઉપગ્રેડના બોર્ડમાં

અમિતાભ કાંત / amitabhkant.co.in

એજ્યુટેક ક્ષેત્રની અગ્રણી કંપની ઉપગ્રેડે ભારતના પૂર્વ જી-20 શેરપા અને પ્રખ્યાત પ્રશાસક અમિતાભ કાંતને પોતાના બોર્ડમાં સ્વતંત્ર બિન-કાર્યકારી નિયામક તરીકે નિયુક્ત કર્યા છે.

આ નિમણૂક કંપનીની વૈશ્વિક વિસ્તરણ યોજનાને વેગ આપવા અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસની પ્રાથમિકતાઓ સાથે વધુ નજીકથી જોડાવા માટે કરવામાં આવી છે.

1980 બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી અમિતાભ કાંત છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ભારતના સુધારાકારી વાતાવરણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ઈન્ક્રેડિબલ ઈન્ડિયા તેમજ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોને તેમના નેતૃત્વમાં આકાર મળ્યો હતો. આ યોજનાઓએ ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવું, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું અને ભારતને વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારતની જી-20 અધ્યક્ષતા દરમિયાન શેરપા તરીકે તેમણે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ વિકાસ અને સમાવેશી વૃદ્ધિ જેવા જટિલ વૈશ્વિક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી. નીતિ આયોગના સીઈઓ તરીકેના તેમના કાર્યકાળે ડિજિટલ નવીનતા, ટકાઉપણું, વિશાળ જાહેર-ખાનગી ભાગીદારી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસને વેગ આપ્યો હતો.

“ભારતની વસ્તીગત લાભને ધ્યાનમાં રાખતાં નવી પેઢીનું કૌશલ્ય વિકાસ અત્યંત જરૂરી છે,” એમ અમિતાભ કાંતે જણાવ્યું હતું. તેમણે ઉપગ્રેડની વિશ્વવિદ્યાલયો અને ઉદ્યોગો સાથેની વધતી જતી ભાગીદારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “સરકાર પણ આ જ વાતની હિમાયત કરી રહી છે અને ઉપગ્રેડને આ દિશામાં વધુ મદદ કરવા હું તેમના બોર્ડમાં જોડાઈ રહ્યો છું.”

કંપનીના સહ-સ્થાપક અને ચેરપર્સન રોની સ્ક્રુવાલાએ આ નિમણૂકનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પરિવર્તનના કાર્યક્રમોમાં અમિતાભ કાંતનો વિશાળ અનુભવ અને વ્યૂહાત્મક સ્પષ્ટતા ઉપગ્રેડની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને મજબૂત બનાવશે.

2015માં સ્થપાયેલી ઉપગ્રેડે મધ્ય પૂર્વ, આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને અમેરિકામાં પોતાનો વિસ્તાર કર્યો છે તેમજ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાની યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી સ્થાપી છે. કંપનીએ મલ્ટી-કેમ્પસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ આધારિત શિક્ષણ પદ્ધતિ અને વ્યક્તિગત કન્ટેન્ટમાં રોકાણ કરીને વિકસિત ભારત @2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપી રહી છે.

Comments

Related