ADVERTISEMENT

ADVERTISEMENT

વેપાર કરારથી ભારતની નિકાસ માટે અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરના બજારના દ્વાર ખુલ્યા

કરાર અંતર્ગત 30.94 અબજ ડોલરની નિકાસ પર ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થયા

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા છે. / (IANS/Preamnath Pandey)

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ભારતની વૈશ્વિક વેપારમાં મોટી સિદ્ધિ સાબિત થયો છે. આ કરારથી ભારતીય નિકાસને અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યના બજારમાં લાંબા ગાળાની પ્રાધાન્યતા મળી છે, તેમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

આ કરાર અંતર્ગત વ્યાપક ટેરિફ ઘટાડો, મોટા પ્રમાણમાં શૂન્ય ડ્યુટી વર્ગોમાં પ્રવેશ, ડિજિટલ અને ટેકનોલોજી સહયોગમાં વધારો તેમજ ભારતના ખેડૂતો, MSME અને ઘરેલુ ઉદ્યોગોના રક્ષણ માટે સંતુલિત માળખું ઊભું કરવામાં આવ્યું છે.

2024માં ભારતની અમેરિકા તરફની કુલ નિકાસ 86.35 અબજ ડોલર હતી. આ કરારથી ટેક્સટાઇલ, ચામડું, રત્ન-આભૂષણ, કૃષિ, મશીનરી, હોમ ડેકોર, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોમાં સ્પર્ધાત્મક પ્રવેશમાં નોંધપાત્ર વધારો થશે.

કરાર હેઠળ 30.94 અબજ ડોલરની નિકાસ પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10.03 અબજ ડોલરની નિકાસ પર ટેરિફ 50 ટકાથી શૂન્ય કરવામાં આવ્યા છે. આનાથી અમેરિકા બજારમાં પ્રવેશતી ભારતીય વસ્તુઓ પર નોંધપાત્ર ઓછા ટેરિફ અથવા સંપૂર્ણ ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે, જેથી કિંમત સ્પર્ધાત્મકતામાં મોટો લાભ થશે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વેપાર કરાર તણાવ ઘટાડી, નવા માર્ગો ખોલ્યા: ધ્રુવ જયશંકર

ભારતના શ્રમ-સઘન ટેક્સટાઇલ અને એપેરલ નિકાસ પર ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થયા છે. સિલ્કને 113 અબજ ડોલરના અમેરિકી બજારમાં શૂન્ય ડ્યુટી મળી છે. મશીનરી નિકાસ પર ટેરિફ 18 ટકા થતાં 477 અબજ ડોલરના બજારમાં મોટી તકો ખુલી છે.

ચામડા અને ફૂટવેર ક્ષેત્ર માટે પણ મોટો લાભ છે. ભારતને અમેરિકાના 42 અબજ ડોલરના બજારમાં સૌથી પસંદગીના સપ્લાયર તરીકે સ્થાન મળશે. આ ક્ષેત્ર પર ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થયા છે, જેથી MSME અને ઉત્પાદન ક્લસ્ટર્સમાં ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે.

રત્ન-આભૂષણ નિકાસ પર પણ ટેરિફ 50 ટકાથી 18 ટકા થયા છે, જેથી 61 અબજ ડોલરના બજારમાં પ્રાધાન્ય મળશે. વળી, હીરા, પ્લેટિનમ અને સિક્કા જેવા મુખ્ય વર્ગો માટે 29 અબજ ડોલરના બજારમાં શૂન્ય ડ્યુટી પ્રવેશ મળ્યો છે.

કૃષિ ક્ષેત્રમાં પણ મોટી સફળતા છે. 1.36 અબજ ડોલરની ભારતીય કૃષિ નિકાસને શૂન્ય વધારાના ડ્યુટીનો લાભ મળશે. મસાલા, ચા, કોફી, ફળો, નટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા મુખ્ય ઉત્પાદનોને શૂન્ય ડ્યુટી મળી છે.

અતિ સંવેદનશીલ ક્ષેત્રો જેમ કે ડેરી, માંસ, પોલ્ટ્રી અને અનાજને આ કરારમાં સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે.

આ કરારથી ભારતને ટેરિફમાં સ્પષ્ટ ફાયદો મળ્યો છે. ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટ્યા છે, જ્યારે ચીન (35 ટકા), વિયેતનામ (20 ટકા), બાંગ્લાદેશ (20 ટકા), મલેશિયા (19 ટકા), ઇન્ડોનેશિયા (19 ટકા), ફિલિપાઇન્સ (19 ટકા), કંબોડિયા (19 ટકા) અને થાઇલેન્ડ (19 ટકા) જેવા સ્પર્ધક દેશો હજુ ઊંચા ટેરિફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતીય નિકાસકારોને મોટી સ્પર્ધાત્મક તક મળશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related