ADVERTISEMENT

ADVERTISEMENT

“રશિયા હંમેશા ભારતની સાથે ઊભું રહ્યું છે” – કેન્દ્રીય મંત્રીએ રશિયા સાથેના સંબંધોની પ્રશંસા કરી

વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીમાં રશિયાની વિશ્વસનીય ભૂમિકા ભારતે ઉજાગર કરી; પુતિનની નવી દિલ્હી મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલે વધતા આર્થિક સંબંધો પર ભાર મૂક્યો

ભારત-રશિયા બિઝનેસ ફોરમનો સ્ક્રીનગ્રેબ / @PiyushGoyal via 'X'

કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે (૪ ડિસેમ્બર) રશિયાને ભારતનો અતૂટ “સુખ-દુઃખનો સાથી” ગણાવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉચ્ચસ્તરીય મુલાકાત વેળાએ તેમણે આ નિવેદન આપ્યું હતું.

નવી દિલ્હીમાં આયોજિત “ઇન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમ”માં બોલતાં શ્રી ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચે ૭૦ અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થઈ રહ્યો છે અને “વિશેષ તથા વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી”માં હંમેશા ગરમજોશી રહી છે.

આ ફોરમનું થીમ “સેલ ટુ રશિયા” હતું અને તેનું સહ-અધ્યક્ષસ્થાન શ્રી ગોયલ તથા રશિયાના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ મેક્સિમ ઓરેશ્કિને કર્યું હતું.

શ્રી ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો ટાંકીને કહ્યું, “રશિયાની ઠંડી ઋતુમાં તાપમાન જેટલું પણ નીચે જાય, ભારત-રશિયા મૈત્રી હંમેશા ગરમાવો જ રાખશે.”

તેમણે યાદ કરાવ્યું કે ૨૦૧૪માં મોદી-પુતિનની પ્રથમ શિખર બેઠકમાં ૨૦૨૫ સુધીમાં ૩૦ અબજ ડૉલર વેપારનું લક્ષ્ય નક્કી કરાયું હતું, જે માત્ર પૂરું જ નથી થયું, પરંતુ બમણું થઈને ૭૦ અબજ ડૉલરે પહોંચી ગયું છે.

જોકે, તેમણે વેપારમાં સંતુલનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે રશિયાના કુલ આયાતમાં ભારતનો હિસ્સો હજુ ૨ ટકાથી પણ ઓછો છે. “બંને દેશો વચ્ચે આપવા-લેવા માટે ઘણું બાકી છે,” એમ કહીને તેમણે ઓટોમોબાઇલ, ટ્રેક્ટર, ભારે વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન, હેવી મશીનરી, ટેક્સટાઇલ અને ખાદ્ય ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં ભારતીય નિકાસ વધારવા આહ્વાન કર્યું.

રશિયાના મુખ્ય વક્તા મેક્સિમ ઓરેશ્કિને કહ્યું, “ભારત-રશિયા વેપારે અદ્ભુત પ્રગતિ કરી છે અને ૭૦ અબજ ડૉલરની નજીક પહોંચ્યો છે, પરંતુ હજુ અપાર સંભાવનાઓ બાકી છે. અમે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડૉલરના સંતુલિત વેપારનું લક્ષ્ય રાખીએ છીએ, જેમાં ભારતીય નિકાસને મોટો ફાળો આપવો પડશે.”

ફોરમમાં ભારત તરફથી મંત્રી રાજીવ રંજન સિંહ (મત્સ્યપાલન, પશુપાલન), સચિવો રાજેશ અગ્રવાલ, અમિત અગ્રવાલ, એસ. કૃષ્ણન તથા એન.એસ. રાવ હાજર રહ્યા હતા. રશિયા તરફથી આર્થિક વિકાસ મંત્રી મેક્સિમ રેશેતનિકોવ, કૃષિ મંત્રી ઓક્સાના લુટ, ડિજિટલ મંત્રી મક્સુત શાદાયેવ વગેરેનો સમાવેશ થતો હતો.

બંને પક્ષોએ ૨૦૩૦ સુધી ૧૦૦ અબજ ડૉલરના સંતુલિત વેપાર, સેવાઓનો વિસ્તાર, રોકાણ, કનેક્ટિવિટી, નવીનતા તથા પ્રાદેશિક જોડાણ પર ફરી પ્રતિબદ્ધતા દર્શાવી.

સંસા સહયોગ પર પણ પ્રગતિ

પુતિનની મુલાકાત દરમિયાન જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા રશિયાના રક્ષા મંત્રી આન્દ્રેઈ બેલોસોવે ૨૨મી ભારત-રશિયા આંતર-સરકારી સંરક્ષણ તથા સંરક્ષણ તકનીકી સહયોગ સમિતિ (IRIGC-M&MTC)ની સહ-અધ્યક્ષતા કરી.

બંનેએ “ગાઢ વિશ્વાસ, સમાન સિદ્ધાંતો અને પરસ્પર આદર” પર આધારિત સંબંધોની પુષ્ટિ કરી. શ્રી સિંહે ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્ય સાથે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં નવી તકો ઊભી થઈ રહી હોવાનું જણાવ્યું.

રશિયન મંત્રીએ કહ્યું, “રશિયન સંરક્ષણ ઉદ્યોગ ભારતને સ્વાવલંબી બનાવવા પૂરો ટેકો આપવા તૈયાર છે.” તેમણે ૨૦૨૬માં રશિયામાં યોજાનારી ૨૩મી બેઠક માટે શ્રી સિંહને આમંત્રણ આપ્યું.

બંને મંત્રીઓએ ચાલુ તથા ભવિષ્યના સહયોગ ક્ષેત્રોનો સમાવેશ કરતો પ્રોટોકૉલ હસ્તાક્ષર કર્યા હતા.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video