ADVERTISEMENT

ADVERTISEMENT

12 ધોરણ ભણેલા અંકુર ધોળકીયા ગૌ આધારિત આયુર્વેદિક ઉત્પાદનોનું 17 દેશોમાં એક્ષ્પોર્ટ કરીને કરે છે બમ્પર કમાણી.

ગૌશાળા આત્મનિર્ભર બને તેવા ઉમદા ઉદ્દેશ સાથે ગૌ આધારિત ઉત્પાદનો બનાવી આજનો યુવાન ધનવાન બની શકે છે. ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃધ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે: અંકુર ધોળકીયા.

ગૌ આધારિત ઉત્પાદનો બનાવનાર અંકુર ધોળકિયા / માહિતી વિભાગ, ગુજરાત

જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતી સાથે પશુપાલન અને ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી. ખેતી- પશુપાલન સાથે સંકળાયેલ વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે. આવા જ એક ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધોળકીયાએ ગૌસંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

અંકુરભાઈએ ‘સમર્પણ હર્બ્સ લાઈફ’ સંસ્થા સ્થાપી છે, જેના નેજા હેઠળ ૨૫૦થી વધુ ગાયની ગૌ શાળા ચલાવે છે. તેઓ ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત પેદાશ બનાવીને વેચાણ કરી વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની કમાણી  કરે છે. શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેમના ઉત્પાદનો ભારત સહિત અન્ય ૧૭ દેશોમાં ઈન્ટરનેટના માધ્યથી વેચાય છે. તેઓ ગાય-બુલના છાણ અને ગૌમૂત્રના અર્ક ઉપર સંશોધન કરીને માનવ બીમારીમાં ઉપયોગી થાય એવી આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. જેના બીમારીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે.   

માત્ર ૧૨ ધોરણ પાસ પણ આગવી કોઠાસૂઝ અને વ્યવસાયિક કુશળતા ધરાવતા અંકુરભાઈએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુપાલન અને પ્રાકૃતિક ખેતીનો એક રિપોર્ટ જોયા પછી તેમાંથી પ્રેરણા મેળવી વર્ષ ૨૦૧૬માં સમર્પણ ગીર શાળા સાથે સમર્પણ હર્બ્સ લાઈફની સ્થાપના કરી હતી ત્યારે તેમની પાસે માત્ર ચાર ગાય હતી અને અત્યારે ૨૫૦થી વધુ ગાયો સાથે ગૌસંવર્ધન સાથે ગૌ આધારિત વિવિધ ૨૭થી વધુ પેદાશ બનાવે છે. 

તેમણે જણાવ્યું કે, ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃધ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ છે, ગાયનું દૂધ અમૃત્ત સમાન છે. ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કોમોડિટી ગણાય છે. ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે તેમાંથી સ્વનિર્ભર ગૌ-શાળા બને તેવો અમારો ઉદ્દેશ છે.

અંકુરભાઈએ ઉમેર્યું કે, ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો-રિસર્ચ કર્યા છે. જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાય એલિમેન્ટ્સ મળ્યા ને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઈડ્રેટ કર્યા બાદ તેને આઈસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાઉડર બનાવી જેનો ઉપયોગ વિવિધ પેદાશોમાં કરીએ છીએ. સામાન્ય રીતે વ્યકિતઓ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ, આર્યન, કેલ્સિયમ, પ્રોટીન્સ સહિતના મિનરલ્સ લેતા હોય છે. તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કેન્સર, કિડનીની બિમારી, ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, થાઈરોઈડ, અસ્થમાથી પિડીત દર્દીઓ ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે.

તેમણે કહ્યું કે, ગાયના ગૌ મૂત્ર સાથે નંદી મૂત્ર (બુલ યુરિન) ઉપર વધુ રિસર્ચ કર્યું તો ગાયના યુરિન (ગૌમૂત્ર)માં ૧.૨૩ mg ગોલ્ડ હોવાનું જાણવા મળ્યું ત્યારે નંદીના યુરિનમાં ૨૧.૦૬ mg ગોલ્ડ જોવા મળ્યું જે ૨૦ ગણું વધારે છે. એટલે કે, જે લોકોને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, સંતાન પ્રાપ્તિમાં  મુશ્કેલી થતી હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા હતા. સુરતના આવા જ કિસ્સામાં ૭-૮ વર્ષથી પિડીત હતા તેવા ૧૪ પ્રેગ્નસી કન્ફર્મ કરી છે. બીજુ કેન્સરના દર્દીઓમાં ગૌ-કીમા બનાવી છે. તેમા પણ ધાર્યું પણ ન હોય તેવા પરિણામ મળતા એટલે જાણવા મળ્યું કે, બ્લેક ટર્મેરિકનું પ્રમાણ વધુ જોવા મળ્યુ છે. બ્લેક ટર્મેરિકમાં સૌથી વધુ કરક્યુમિન છે, જે કેન્સર અને સ્કિનના દર્દીઓ માટે ઔષધિ સમાન સાબિત થઈ રહી છે. જેનુ ગૌમૂત્ર સાથે મર્દન કરીને કેન્સરની દવા બનાવી છે. વધુમાં રિસર્ચ કરતા કરતા ક્રિનિકલ ટ્રાયલ્સ, એનિમલ્સ સ્ટડીઝમાં ઉપયોગમાં આવી રહી છે. 

વધુમાં અંકુરભાઈએ લોકોની માંગને ધ્યાને લેતા ગૌઉત્પાદનોમાંથી કોસ્મેટિક વસ્તુઓ બનાવી છે. જેમાં સાબુ, શેમ્પૂ, ફેસવોસ, ટૂથપેસ્ટ, કન્ડિશનર, છાણમાંથી અગરબત્તી, બાયો કોલ સહિતની ૨૭થી વધુ પોડ્ક્ટસ બનાવીને ઈન્ટરનેટના માધ્યમથી ૧૭થી વધુ દેશોમાં તેની નિકાસ કરીએ છીએ. જેમાં સ્કીનના પીએચ સેટ કરીને કેમિકલરહિત ગૌ આધારિત વિવિધ ઉત્પાદનો બનાવીએ છીએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત અનાજ પહોંચે તેવા ઉદ્દેશ્યથી સુરતના ગૌ-પ્રેમી મુન્નાભાઈએ ‘ઝેરમુક્ત અભિયાન’ થકી અડાજણ સ્થિત ક્રિશયુગ ગૌશાળા ખાતે દર રવિવારે અને બુધવારે પ્રાકૃતિક ખેતપેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં સમર્પણ ગૌ આધારિત ઉત્પાદનોના વેચાણ થકી દર અઠવાડિયે ૨૫થી ૩૦ હજારની આવક મળે છે. 

આમ, ઓછો અભ્યાસ છતાં સ્વનિર્ભર બની ગૌસેવા સાથે વ્યવસાયમાં સફળતા મેળવી તેમણે અનેક યુવા સાહસિકોને પ્રેરણા આપી છે.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in