ADVERTISEMENT

ADVERTISEMENT

શાંઘાઈના આંતરરાષ્ટ્રીય ગાલામાં ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર'નું સન્માન

ગાલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવા આમંત્રિત ચાર દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો.

 કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું / X

ભારતને શાંઘાઈમાં યોજાયેલા વાર્ષિક 2026 કોન્સ્યુલર કોર્પ્સ કલ્ચરલ ચેરિટી ગાલા ડિનરમાં 'કન્ટ્રી ઓફ ઓનર' તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના કોન્સુલ જનરલ પ્રતિક માથુરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિશ્વભરના રાજદૂતો અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં યોજાતો આ કાર્યક્રમ રાજદ્વારી વર્તુળનો મહત્વનો સાંસ્કૃતિક સમારોહ માનવામાં આવે છે.

કાર્યક્રમમાં વિવિધ દેશોની સાંસ્કૃતિક રજૂઆતો અને ક્રોસ-કલ્ચરલ પ્રદર્શન યોજાયા હતા. તેમાં 70થી વધુ દેશોના કોન્સુલ જનરલ, રોકાણકારો અને અન્ય વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યા હતા. ગાલામાં પોતાની સાંસ્કૃતિક પરંપરાનું પ્રદર્શન કરવા માટે આમંત્રિત કરાયેલા ચાર દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો હતો.

ભારત તરફથી યોગની રજૂઆત કરવામાં આવી હતી, જેને વિશ્વને ભારતની અનમોલ ભેટ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. ઉપરાંત ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ઝલક પણ રજૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય દર્શકો સમક્ષ કુચીપુડી નૃત્યની વિશેષ રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સન્માન સ્વીકારતી વખતે પ્રતિક માથુરે ભારતના ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંત અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રોકાણકારો અને રાજદૂતોને ભારતની મુલાકાત લેવા તથા ત્યાં ઉપલબ્ધ રોકાણની તકોને નજીકથી જાણવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

આ ગાલા કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની તૈયારીઓ પૂર્વે યોજાયો હતો.



આ પહેલા 17 મેના રોજ પ્રતિક માથુરે શાંઘાઈમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં ચાઇના યોગા એન્ડ પિલેટ્સ સમિટના આયોજકોનું સન્માન કર્યું હતું. 2024માં બેઇજિંગમાં યોજાયેલી આ સમિટ હવે પ્રથમ વખત 16થી 19 જૂન, 2026 દરમિયાન શાંઘાઈમાં યોજાવાની છે.

આ સમિટમાં વિશ્વભરના હજારો યોગ અભ્યાસીઓ, વેલનેસ નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. શાંઘાઈમાં પ્રથમ વખત યોજાનારી આ સમિટને મહત્વપૂર્ણ વૈશ્વિક વેલનેસ કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહી છે.

કાર્યક્રમને સંબોધતા માથુરે યોગ પ્રત્યે વિશ્વભરમાં વધતા આકર્ષણનો ઉલ્લેખ કર્યો હતો અને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ દિવસ 2026 અંતર્ગત આયુર્વેદ, માઇન્ડફુલનેસ અને સર્વાંગી આરોગ્ય પરંપરાઓ સહિત સમગ્ર આયુષ ઇકોસિસ્ટમને આવરી લેતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

માથુરે કહ્યું હતું કે શાંઘાઈમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પ્રત્યે જોવા મળતો ઉત્સાહ શહેરની વૈશ્વિક અને વ્યાવસાયિક ઓળખ તેમજ વિશ્વના સૌથી મોટા યોગ સ્ટુડિયો કેન્દ્રોમાંના એક તરીકેની તેની પ્રતિષ્ઠાને દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગમાં વધતી ભાગીદારી અને રસ એ સાબિત કરે છે કે યોગ આરોગ્ય, સુમેળ અને શાંતિ માટેનું અસરકારક સાધન છે.

કોન્સુલ જનરલે યોગપ્રેમીઓ અને વેલનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભારતની મુલાકાત લઈ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓ અને આ પ્રદેશ સાથેના ઐતિહાસિક સંબંધોને નજીકથી અનુભવવા અપીલ કરી હતી.

દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને માન્યતા આપી હતી. યોગ દિવસનો હેતુ યોગને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટેની સર્વાંગી જીવનશૈલી તરીકે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related