ADVERTISEMENT

ADVERTISEMENT

ડેરા નેતા વિરુદ્ધ ટિપ્પણી કરનાર એનઆરઆઈ સામે ગુનો નોંધાયો

FIRમાં બે ટિપ્પણીઓનો ઉલ્લેખ, પવન મેહમીના નિવેદનોથી આખા રવિદાસીયા સમાજની ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસ્વીર / Pexels

ડેરા સચખંડ બલ્લાંના વડા સંત નિરંજન દાસ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર એનઆરઆઈ અંબેડકરવાદી પવન મેહમીને જાલંધર ગ્રામીણ પોલીસે ૭ ડિસેમ્બરની રાત્રે ધરપકડ કરી હતી. ડેરા સચખંડ બલ્લાં એ ગુરુ રવિદાસજીના ઉપદેશોનો પ્રચાર કરતી અને શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે સેવાકાર્ય કરતી ધાર્મિક-સામાજિક સંસ્થા છે.

ડેરા બલ્લાંના વડા સંત નિરંજન દાસે તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુ રવિદાસજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આમંત્રણ આપ્યું હતું.

ફરિયાદી અમિત જસ્સી ઉર્ફે જસ્સી તલહાણ (ગુરુ રવિદાસ ટાઇગર ફોર્સના પ્રમુખ)એ જણાવ્યું કે પવન મેહમીએ ફેસબુક પર ૪ ડિસેમ્બરે મોદી સાથેની મુલાકાતનો ફોટો શેયર કરતાં સંત નિરંજન દાસ, અખિલ ભારતીય રવિદાસીયા ધરમ સંગઠનના ઉપપ્રમુખ સંત મનદીપ દાસ તેમજ ડેરા બલ્લાંના ટ્રસ્ટીઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી.

એફઆઈઆરમાં આવી બે ટિપ્પણીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનાથી આખા રવિદાસીયા સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ મૂકાયો છે.

આ મામલો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૯૮ હેઠળ પટારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પવન મેહમીની ફગવાડાના પ્રેમપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

મેહમી (સ્પેનમાં સ્થાયી)ને ૮ ડિસેમ્બરે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જામીન પર છોડી મુકાયો હતો.

આ પહેલી વાર નથી કે પવન મેહમી પોતે રવિદાસીયા/આદ-ધર્મી સમાજનો હોવા છતાં દલિત ડેરા આગેવાનો વિરુદ્ધ લખાણ કરવાને કારણે ઝપટમાં આવ્યો હોય. માર્ચ ૨૦૧૯માં પણ તેની સામે એ જ ફરિયાદી દ્વારા એ જ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૨૯૫એ હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી. તે વખતે જીવન મેહમીએ ગાયેલું અને પવને લખેલું ગીત ડેરાઓ વિરુદ્ધ હોવાથી ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ હતો. તે કેસમાં સ્પેનમાં હોવાથી તેને ભાગેડુ જાહેર કરાયો હતો અને નવેમ્બર ૨૦૨૨માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Comments

Related