લોરેન્સ બિશ્નોઇ(ફાઈલ ફોટો) / Courtesy Photo
કેનેડાની ફેડરલ કોર્ટે હત્યાના આરોપોનો સામનો કરી રહેલા અને બિશ્નોઈ ગેંગ સાથે કથિત સંબંધ ધરાવતા ભારતીય નાગરિક કરમવીર સિંહને મુક્ત કરવાનો ઇમિગ્રેશન બોર્ડનો નિર્ણય રદ કર્યો છે.
ન્યાયાધીશ ફુઓંગ ન્ગોએ 3 ઓગસ્ટના રોજ આપેલા ચુકાદામાં જણાવ્યું કે 7 જુલાઈએ કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડના સભ્યે કરમવીર સિંહને કેટલીક શરતો સાથે મુક્ત કરવાનો નિર્ણય આપ્યો હતો, જેમાં તેના સંબંધીઓએ જામીનની રકમ જમા કરાવવાની ઓફર કરી હતી. જોકે આ નિર્ણયમાં ગંભીર ખામીઓ રહી હતી.
ન્યાયાધીશે જણાવ્યું કે બોર્ડે જામીન આપનાર વ્યક્તિઓની વિશ્વસનીયતા અને યોગ્યતા અંગે ઉપલબ્ધ મહત્વપૂર્ણ અને વિરોધાભાસી પુરાવાઓનું પૂરતું મૂલ્યાંકન કર્યું નહોતું.
તેમણે વધુમાં જણાવ્યું કે કેનેડા સરકારના મંત્રીપક્ષે રજૂ કરેલી મુખ્ય દલીલોનો પણ નિર્ણયમાં યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો નહોતો.
40 વર્ષીય કરમવીર સિંહ એપ્રિલથી કસ્ટડીમાં છે. તેના પર પંજાબી ગાયકો પાસેથી ખંડણી વસૂલવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. ઉપરાંત, એફબીઆઈના અહેવાલ મુજબ તેણે સપ્ટેમ્બર 2024માં ગાયક એપી ઢિલ્લોનના કોલવૂડ સ્થિત નિવાસસ્થાને થયેલા ગોળીબાર અને અગ્નિકાંડનો આદેશ આપ્યો હતો.
એફબીઆઈએ કેનેડિયન સત્તાવાળાઓને કેલિફોર્નિયામાં લેવામાં આવેલી એક તસવીર પણ આપી હતી, જેમાં કરમવીર સિંહ બિશ્નોઈ ગેંગના સ્થાપક લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે જોવા મળે છે.
કોર્ટે જણાવ્યું કે સિંહની મુક્તિ માટે તેની બે બહેનોએ 1 લાખ કેનેડિયન ડોલરથી વધુની જામીન રકમ આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ આ રકમ ક્યાંથી આવી તે અંગેના ગંભીર પ્રશ્નોને ઇમિગ્રેશન બોર્ડે યોગ્ય રીતે ધ્યાનમાં લીધા નહોતા.
ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું કે સિંહની મુક્તિ માટે મૂકવામાં આવેલી શરતો તેના ભાગી જવાના જોખમને કે કેનેડાની જનતા માટેના સંભવિત જોખમને પૂરતા પ્રમાણમાં ઘટાડતી નથી.
સિંહની બહેન હરપાવનજીત કૌર ધાલીવાલ અને તેમના પતિ ગુરદીપ સિંહ ધાલીવાલને ઇમિગ્રેશન બોર્ડે જામીનદાર તરીકે સ્વીકાર્યા હતા.
જોકે, ન્યાયાધીશે નોંધ્યું કે ગુરદીપ સિંહ ધાલીવાલ કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સી (CBSA) સમક્ષ જામીન માટેની રોકડ રકમ કાયદેસર રીતે મેળવવામાં આવી હોવાનું સંતોષકારક રીતે સાબિત કરી શક્યા નહોતા.
ત્યારબાદ બીજી બહેન નવનીન કૌરે 10,000 કેનેડિયન ડોલરના જામીન આપવાની ઓફર કરી હતી. પરંતુ સુનાવણી દરમિયાન તે બેરોજગાર હોવાથી તેની પાસે આ રકમ ક્યાંથી આવી તે અંગે પણ સવાલો ઊભા થયા હતા.
ચુકાદામાં જણાવાયું કે મંત્રીપક્ષે દલીલ કરી હતી કે હરપાવનજીત કૌર ધાલીવાલે પોતાની નોકરી, આવક અને નાણાંના સ્ત્રોત અંગે ઇમિગ્રેશન વિભાગ સમક્ષ સાચી માહિતી આપી હોવાનું વિશ્વસનીય રીતે સાબિત કરી શક્યા નહોતા, જેના કારણે તેમની સમગ્ર વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો હતો.
ન્યાયાધીશે વધુમાં કહ્યું કે ગયા મહિને આપવામાં આવેલા સુધારેલા મુક્તિના આદેશમાં પણ સિંહના ભાગી જવાના જોખમ અને જાહેર સુરક્ષા માટેના સંભવિત ખતરને કેવી રીતે દૂર કરવામાં આવશે તેની પૂરતી સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
ચુકાદા અનુસાર, ઇમિગ્રેશન બોર્ડે એ સમજાવવું જરૂરી હતું કે મુક્તિ માટેની શરતો આ જોખમોને કેવી રીતે પૂરતા પ્રમાણમાં દૂર કરે છે, પરંતુ તે કરવામાં આવ્યું નહોતું. તેથી આ નિર્ણય વાજબી ગણાવી શકાય નહીં.
ચુકાદા મુજબ કરમવીર સિંહની આગામી અટકાયત સમીક્ષા સુનાવણી 5 ઓગસ્ટે નિર્ધારિત કરવામાં આવી હતી.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login